પોરબંદર
પોરબંદર જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક-સામુહિક આરોગ્ય કેન્દ્રો, કોવિડ કેર સેન્ટર્સ, પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળોએ કોરોના વોરીયર્સના હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતું. પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ, આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો, ડોકટર્સ, કલેકટરશ્રી સહિતના અધિકારીઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું જતન કરવા લીમડાના છોડ રોપી તેનુ જતન કરવા પ્રતિબધ્ધ થયા હતા.
જનમાનસમા પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે, લોકો પર્યાવરણની સુરક્ષામા સહયોગી બને તે હેતુથી વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામા આવે છે. આ પ્રસંગે કલેકટરશ્રી અશોક શર્માએ કહ્યુ કે, “ વૃક્ષો પૃથ્વીનુ ઘરેણુ છે, લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે માટે આ દિવસ ખાસ મહત્વનો છે. વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષો વાવવાની સાથે સાથે સમયે સમયે તેને પાણી પાવુ, બાળકની જેમ તેનુ જતન કરવુ જોઇએ. આજનો નાનો છોડ કાલનું મોટુ વૃક્ષ બનીને છાયડો આપશે. લોકોએ વરસાદના પાણીનો સંગ્રહ કરવાની સાથે પાણીનો ખોટો બગાડ અટકાવવો જોઇએ. શક્ય હોય ત્યા સુધી પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવો, માણસે પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી બનવુ જોઇએ”.
વન અને પર્યાવરણ વિભાગ દ્રારા ઇકોસીસ્ટમ રીસ્ટોરેશન થીમ સાથે વિવિધ કાર્યક્રમો અને જૈવિક વિવિધતા જાળવવા અને તુલસીના ઐાષધીય વૃક્ષોના ઉછેર પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન ઝૂંબેશ હાથ ધરાશે.
સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે. અડવાણી, જિલ્લા પોલીસ વડાશ્રી રવિ મોહન સૈની, નાયબ વન સંરક્ષકશ્રી ડી.જે. પંડ્યા, સિવિલ સર્જનશ્રી ડો. અલકા કોટક સહિત ડોકટર્સ, નર્સિંગ સ્ટાફ, આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો, હેલ્થ વર્કર્સ ઉપસ્થિત રહ્યા હતા.