પોરબંદર
રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કરી માંગ
ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવનાર છે. ત્યારે ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને પોરબંદરના મૈયારી અથવા કડછ ગામે ટેકાના ભાવે ચણાની ખરીદીનું કેન્દ્ર ફાળવવા માંગ કરી છે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પત્રમાં જણાવ્યું છે કે પોરબંદર જિલ્લામાં ખાસ કરીને ઘેડ પંથકમાં વ્યાપક પ્રમાણમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે. જો કે રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટે પોરબંદર ખાતે કેન્દ્ર ફાળવેલ છે. પરંતુ ઘેડ પંથકના ઘેડુતોએ પોતાનો ચણાનો જથ્થો પોરબંદર સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન મોટો ખર્ચો ઉઠાવવો પડે છે. વળી પોરબંદરનું કેન્દ્ર દુર પડતુ હોવાથી ખેડૂતોની હાડમારી પણ વધી જાય છે.
શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું છે કે ઘેડ વિસ્તારના ખેડૂતોને મુશ્કેલી ન પડે અને સ્થાનિક કક્ષાએ રાજ્ય સરકારે જાહેર કરેલ ટેકાના ભાવથી ખેડૂતો ચણાનું વેચાણ કરી શકે તે માટે પોરબંદર તાલુકાના મૈયારી અથવા કડછ ગામે ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવે. મહત્વનું છે કે ઘેડ પંથકના ખેડૂતો લાંબા સમયથી નજીકના કોઈ ગામમાં ટેકાના ભાવે ચણા ખરીદીનું કેન્દ્ર ફાળવવા માંગ કરી રહ્યા છે.