પોરબંદર
ઉંઘમાં સુતેલા મોટાભાઇને તિક્ષણ હથિયારથી માથા અને બંને આંખ પાસે ઘા ઝીંકી દેતા મોત, પિતાએ લખાવી પોલીસ ફરિયાદ
પોરબંદરના છાયા ગાંધી આશ્રમ પાછળ રહેતા વિસ્તારમાં એક યુવાનને તેના નાના ભાઈએ તીક્ષ્ણ હથિયાર વડે ધા મારી હત્યા નિપજાવી શખ્સ નાશી છૂટ્યો છે. આ હત્યા પાછળનું કારણ નાનો ભાઈ ધરમાં નાના મોટા ઝઘડાઓ કરતો હોય અને ઝગડાને કારણે ક્રોધિત થઈ મોટા ભાઈને ઊંઘ માં જ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હોવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ ગાંધી આશ્રમ પાછળ રહેતા કેશુ લાખાભાઈ બાપોદરા નામનો 25 નામનો યુવાન રાત્રીના સમયે પોતાના રૂમમાં સૂતો હતો અને રવિવારે બપોર સુધી ઉઠ્યો ન હતો. કેશુના સબંધી ફોન કરતા હતા અને ફોન ન ઉપડતા આ અંગે કેશુના પરિવારજનોને જાણ કરી હતી કે કેશુ ફોન નથી ઉપાડતો જેથી પરિવારજનોએ બપોરે 12: 30 વાગ્યાના અરસામાં તેના રૂમમાં જઈને જોયું તો કેશુનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. કેશુ બગવદર ખાતે ખાનગી લેબ ચલાવતો હતો અને માતા પિતા તેમજ ભાઈ મનીષ સાથે રહેતો હતો. કેશુ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
આ ઘટના બાદ કેશુનો નાનોભાઈ મનીષ નાશી છૂટ્યો હતો. કેશુના પિતા લાખાભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં મનીષ કોઈ કામધંધો કરતો ન હતો અને ધરમાં અવારનવાર નાનામોટા ઝઘડાઓ કરતો હતો. કેશુ તેને સમજાવી ઝઘડાઓ થાળે પાડતો હતો. ઝગડાના કારણે ક્રોધિત થઈ મનીશે કેશુની હત્યા નિપજાવી નાશી છૂટ્યો હોવા અંગેની પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે વધુ તપાસ કમલાબાગ પોલીસ મથકના પીઆઇ એન.એન.રબારી ચલાવી રહ્યા છે.
માથા અને બંને આંખ પાસે તીક્ષ્ણ હથિયારના ધા માર્યા
રાત્રી થી સવાર દરમ્યાન મનીશે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કેશુના માથા અને બંને આંખ પાસે ધા ઝીંકી હત્યા નિપજાવી નાશી છૂટ્યો હતો.
મનીષ તેના પિતા સાથે મારકુટ કરતો હતો
મનીષ તામસી સ્વભાવનો હોય, ધરમાં માતાપિતા સાથે નાની બાબતમાં ક્રોધિત થઈ અવાર નવાર ઝઘડાઓ કરતો હતો અને કેશુ સાથે પણ માથાકૂટ કરતો હતો. અને મનીષ તેના પિતા સાથે મારકુટ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.